ગુરુએ ખોદાવી વાવડી
guruae khodaavii vaavdii
લખમાજી માળી
Lakhamaji Mali

ગુરુએ ખોદાવી વાવડી, જેનાં નીર ગંગાજળ હોય જી,
વણ ધોયે દુઃખડાં ઊપજે, તારો તરણો શેની વિધે હોય.
મનવા! મેલુડી ચાદર ધોય જી...
તનમન કી તું કર લે મટકી, થારી કરણીની કુંડિયાં હોય,
શબ્દુરા ઝાટકા દીજીએ રે, એવી સુરતા શિલા પર ધોય.... મન૦
રોપડા રંગે ફૂટડો જેનાં અજબ રંગીલાં ફૂલજી,
ઊભા સૂકે પરભોમમાં, એની કળિયું ગોડે રે કોય... મન૦
ચંદન રંગ સામળે! એનાં મરમ જાણે રે સંત કોય,
કાપ્યા પછી કંચન નીપજે, એનાં મૂલ અમૂલખ હોય... મન૦
દેખતે ડોળે પંથ દોયલો, એમાં ચાલતાને સુખ હોય જી,
સતનાં વોળાવાં રે લીજીએ, એમાં વિધન ન આવે કોય... મન૦
ભમર ગુફા મારે ભમે ભમરા, જ્યાં અલખના અખેડા હોય જી,
'લખમા માળી'ની રે વિનતિ, ગુરુગમ વિના જોય ન કોય... મન૦



સ્રોત
- પુસ્તક : સંતસુધા-૧ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : જોરાવરસિંહ જાદવ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
- વર્ષ : 1989