કરજો વણજ વિચારી
karjo vanaj viichaarii
નિરાંત
Nirant

મન-વાણીડા! કરજો વણજ વિચારી, ખોટ ન આવે,
છંછર લટકું જાતાં વાર ન લાગે, લાભ ગુમાવે,
તું વસ્તુ વહોરે માલ ખરો, સાચાનો કર ઘરમાં સંઘરો,
તું મૂકી દેને બીજો વકરો, મન-વાણીડા0
તારે પૂંજી પેઢીની સારી, તું સાચો થાને વેપારી,
તું વહોરત કર વિશ્વાધારી, મન-વાણીડા0
પણ પારખ પેઢીમાં રહેજે, જળ જૂઠાનું મૂકી દેજે,
છે ખેપ ખરું માની લેજે, મન-વાણીડા0
તું કપટ કાટલાં દે નાખી, તું માપી લે સત સત રાખી,
તેમાં લાભ ઘણો હરિ છે સાખી, મન-વાણીડા0
પેઢી ચૌટામાં ચારે ગલી, ત્યાં સર્વ ખપત છે પીઠ ભલી,
ત્યાં બેસી ધંધો કર અદલી, મન-વાણીડા0
એ રીતે વણજ કર વારુ, તું પાપ લોભનું તજ લ્હારું
કહે નિરાંત ઉત્તમ કુળ તારું, મન-વાણીડા0
(‘ભજનસારસિંધુ’માંથી)



સ્રોત
- પુસ્તક : મધ્યયુગીન ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 322)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી, બળવંત જાની, ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1998