નરસિંહ મહેતા
Narsinh Mehta
ધન્ય તું, ધન્ય તું, રાય રણછોડજી! દીન જાણી મુંને માન દીધું;
નહિ મુજ જોગ તે ભોગ મેં ભોગવ્યા, અજ-અંબરીષથી અધિક કીધું. ધ૦
કનકને આસને મુજને બેસાડિયો, રુકમિણી વચને તે હાથ સાહતાં;
હેત આણી હરિ ચરણ તળાંસતા, ખટરસ ભોજન સંગ કરતા. ધ૦
બાળપણા તણો સ્નેહ નવ વીસર્યો, મિત્ર મોહન તણી પ્રીત સાચી;
દીન જાણી મને દયા કીધી ઘણી, બેંક બેસાડિયો કનક-માંચી. ધ૦
ધન્ય ધન્ય, કૃષ્ણજી! સંત સેવા કરી, ધ્યાન ધરતો હું નિજ દ્વાર આવ્યો;
જાડિત-રતન-મણિ, ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા આંહીં લાવ્યો? ધ૦
કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉદ્દ્યોત દીસે;
ખાન ને પાન, વિહાર-સ્થાનક ઘણાં, કામિની નિરખતાં કામ હીસે. ધ૦
નવ-સપ્ત વ૨સની દીઠી ત્યાં સુંદરી, નારી નવજોબના બહુ રૂપાળી;
સોળ શણગાર તે અંગ સુંદર ધર્યાં; દેવ વિમાનથી રહ્યા નિહાળી. ધ૦
સહસ્ર દાસી મળી નાર વીંટી વળી, કામિની કંથની પાસ આવી :
‘સ્વામી રે, સ્વામી! હું દાસી છું તમ તણી, મંદિર પધારિયે પ્રેમલાવી.’ ધ૦
ગોમતીસ્નાન ને નિરખવું કૃષ્ણનું, પુણ્ય પ્રગટ થયું, પાપ નાઠું;
આ કળિકાળમાં જંતુ સહેજે તરે, જેને શ્રીકૃષ્ણ-શું હોય ધાઠું. ધ૦
કૃષ્ણ-માહાત્મ્ય લહી ઘેર આવ્યો વહી, નવલજોબન થયાં નર ને નારી;
વારતા કથતાં રજની વીતી ગઈ, નરસૈંના નાથની પ્રીત ભારી. ધ૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
