ભાલણ
Bhalan
એક સમે ગોવિંદજીને પૂછે દેવકી પ્રેમે કરી વચન :
'આતા, અતિ શું રુચે તમને, તે કરી પીરસું ભોજન. એક...
આટલા દિને આહીર તણે ઘેર, સ્વાદ વિના તમે જમિયા અન્ન;
રાજભોગ ચતુરાઈ ક્યાંથી ભરવાડામાં, હે મારા તન.' એક...
વલતા હરિ એણી પેરે બોલે કાંઈ એક હાસ્ય કરીને વદન :
'આઈજી, મુખે કહ્યું ન જાયે વ્રજનું સુખ, જાણે મારું મન. એક...
ખટ રસ ઉત્તમ શાક પાક બહુ કોટી કરો જો આણી પ્રીત,
તેહ સ્વાદને તોલે નાવે જે ચોરી ખાધું નવનીત. એક...
તમને મળ્યા, રાજ સુખ પામ્યા, મથુરા નગર સગા સહુ જન;
તે સ્નેહ હૃદય થકી નવ જાયે, એક ઘડી મારે નંદભુવન. એક...
વૈકુંઠથી મને ગોકુલ વહાલું, વહાલા સહુ વ્રજવાસી જન,
ક્ષીરસાગરથી અતિશે વહાલું, જનની, મુને વૃંદાવન. એક...
જાણું છું વળી કહીંએ લેશું, અઠ્ઠાવીશમે યુગે અવતાર;
ગોકુલમાંહે લીલા કીજે, તે દિન આવે બીજી વાર. એક...
દેવ સ્તવે તે મુજને લાગે, માતાજી, અતિ વચન કઠોર;
અમૃત પેં એ રૂડું લાગતું, જે ગોપિકા કહેતી ચોર. એક...
વ્રજની વાત વ્રજવાસી જાણે, તેની સાક્ષ ન પૂરે કોય;
માતાજી સર્વે કહેવરાવું, જો પાસે ભાલણ જન હોય.' એક...
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
