વૈરાગને વિઘન
vairaagne vighan
નિષ્કુળાનંદ
Nishkulanand

વૈરાગને રે વિઘન ઘણાં, તાકી રહ્યાં તૈયાર જી,
મોટાઈ ઇચ્છે મારવા, છોડાવા ધન નાર જી.
ઉપરના રે અભાવથી, ટકે નહિ કી ટેક જી,
પાંચ વેરી પ્રચંડ છે, અધિક એકથી એક જી.
ખાતાં પીતાં સૂતાં જાગતાં, વસવું વેરીને વાસ જી,
જોતાં સુણતાં ખોળતાં, તેનો કરવો તપાસ જી.
તપાસ્યા વિના જે ત્યાગિયું, હોડે કરી હૈયા જોર જી,
તે કોઈ દાડે કચવાઈને, કયાંઈ ભાગશે ભૂર જી.
અંતર ઊંડા અભાવથી, કરીએ તન મન ત્યાગ જી,
પછે ભરીએ પગલાં, તો ન વણસે વૈરાગ જી.
સાચે કારજ સરવે સરે, કાર્ચ રાચે નહિ રામ જી,
'નિષ્કુળાનંદ' કહે ન કીજિયે, વણ સમજી એ કામ જી.



સ્રોત
- પુસ્તક : સત કેરી વાણી (પૃષ્ઠ ક્રમાંક 136)
- સંપાદક : મકરંદ દવે
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1991