નરસિંહ મહેતા
Narsinh Mehta
'ભાગ્ય જોજો આ કૃપણ ભિક્ષુક તણું'. રુકમિણી આદિ સહુના બોલે;
‘હળધર જોગ તે ભોગ પમાડિયા, અજ-અંબરીષથી અધિક તોલે. ભા૦
અંગ અતિ કમકમે, ધમણ મોંએ ધમે, ગ્રસિત ઝરવાળિયે નાક લૂ'તો;
જોજો કૌતુક હરિ, દેહદશા ગઈ ફરી, કૃપણ તે કૃષ્ણને સંગ સૂતો.' ભા૦
પોઢીને ઊઠિયા, આસન બેસાડિયા, વદન પખાળવા નીર દીધું;
કનક-ઝારી ભરી શીત જળ આપિયું, સ્વાદ સુધા થકી અધિક પીધું. ભા૦
શ્રીમુખ બોલિયા : ‘કહોજી, બાંધવ! તમો બ્રહ્મચારી કે ગૃહધર્મ કીધો?
કુશળ છે બાળગોપાળ સહુ તમ તણાં? ભાગ્ય મોટું : મનેચિત્તલીધો. ભા૦
ગૃહસ્થના ધર્મમાં હું જ વળગી રહ્યો, હું તે મા૨ી વળી ગત્ય ભૂલ્યો;
મિત્ર સુદામાની શૂધ લીધી નહીં, કામિની-કેલમાં હું જ ડૂલ્યો. ભા૦
સાંદીપનિ ગુરુને ઘેર આપણ ભણ્યા, ધન્ય ધન્ય દિવસ તે સફળ કહાવ્યો;
એક રેણી રહ્યા વન વિશે, આપણે, સર૫ણ ભાંગતાં મેહ આવ્યો. ભા૦
અન્ન લીધા વિના ભૂખ્યા બેસી રહ્યા, ગોરાણીએ આપણી પીડ જાણી;
વીસરી ગયું? કે વીર! તુંને સાંભરે સાંદીપનિ ગુરુની અચળ વાણી? ભા૦
ભાભીએ મોકલી ભેટ જે મુજ ભણી ભાવ-શું, ભાઈ! તે લાગે મીઠી;'
સંકોચતો ગાંઠડી વિપ્ર આઘી ધરે, નરસૈના નાથે તે નજરે દીઠી. ભા૦
સ્રોત
- પુસ્તક : નરસિંહ મહેતાનાં શ્રેષ્ઠ પદ (પૃષ્ઠ ક્રમાંક 65)
- સંપાદક : ડૉ. શિવલાલ જેસલપૂરા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994
