wishad - Metrical Poem | RekhtaGujarati

નયનના રસથી જગ જોયું'તું

હૃદયના રસથી ભર્યું'તું જગ;

ખપવવા અવ જીવનને અહીં

શવ સમું જડ જીવન જીવવું?

સુખનું સ્વપ્ન ગયું, વીખરી ગયું,

દુખ ગયું, દુખની ગઈ વેદના,

રસથી જીવનને ભરતી હતી

નયન તેજશી, તે ગઈ કલ્પના.

સ્મરણની, સુખ-કંદનની અને

ગઠરી બાંધી ઉરોર્મિની મસ્તકે

વહેવી તે ફગવી દઈને હવે

અ-ગત નિર્મમતાથી વિલોકવું.

ઉરની ઊર્મિ ગઈ, કવિતા ગઈ,

ફરજની રસહીન કથા રહી.

સ્રોત

  • પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 138)
  • સંપાદક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1959