સ્વાત્મા પ્રતિ ઉક્તિ
svatma prati ukti
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
[ઓ પોપટા પિંજરના]
(ઉપજાતિ વૃત્ત)
ઓ પોપટા પિંજરના નિવાસી,
રીઝ્યો તને વિશ્વતણો વિલાસી;
મુખે ધરી કોમળ મિષ્ટ વાણી,
ગા કીર્તિ તેની ઉર પ્રેમ આણી.
જેણે રચ્યું પિંજર સૌથી સારું,
તથા કરે રક્ષણ નિત્ય તારું;
તે કોણ છે? તું મન જો તપાશી,
તેણેજ આ સૃષ્ટિપ્રભા પ્રકાશી.
જો માનવીના ગુણ કોઇ ગાશે,
તો તે સુણી પૂર્ણ પ્રસન્ન થાશે;
વિશેષ ભાવે પ્રભુને વખાણે,
જગત્પિતા તે નહિ કેમ જાણે?
જે ખાનપાનાદિક દેઇ પાળે,
તથા સદા સંકટ સર્વ ટાળે;
તેને નહીં યાદ કરે કદાપિ,
તે તો કૃતઘ્ની પરિપૂર્ણ પાપી.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 175)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
