શૂરવીરતા
shurvirata
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(કુંડળિયા છંદ)
એક ટેક અશ્વે ચડે, લડે લઈને લાગ;
રિપુદળ પર તૂટી પડે, પાછો ન ધરે પાગ;
પાછો ન ધરે પાગ, ઘાવ વાગે ઘટમાંહી;
ચડે ચોગણું નૂર, ઠરે નહિ ચિંતા કાંહી;
દાખે દલપતરામ શરીરમાં ઘાવ ન સાલે;
અદકો વાધે ઉમંગ, ટેક અશ્વે ચડી ચાલે.
રણશિંગાનો રવ શુણી, ચડે શરીરે શૂર;
સિંધુરામ શુણિ સોગણું, નરતન ઉપજે નૂર;
નરતન ઉપજે નૂર, ડરે નામરદ નઠારા;
થરથર ધ્રૂજે સ્થૂળ, ગણે પછી તે પોબારા;
દાખે દલપતરામ, શૂર તે કહીયે શાનો;
હરખ ન ઉપજ્યો હોય, શુણી રવ રણશિંગાનો.
કામની કહે છે કંથને, શત્રુ ચડ્યો ધરી દ્વેષ;
પેહેર ચરણિયો કાંચળી, પછી ઘર ખૂણે પેશ;
પછી ઘર ખૂણે પેશ, વેશ બદલું વનિતાનો,
જઈ હું જીતું જંગ, જમાવું જશ જનિતાનો;
દાખે દલપતરામ, રૂદે મુજ હીમત રહે છે;
તું માદા હું મરદ, કંથને કામનિ કહે છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 195)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
