સરોવરમાં ઊભેલો બગ
sarovarma ubhelo bag
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
ભૂરો મોટો ઉપર વ્યોમ-મંડપ તાણેલો,
સરવરમાં મૃદુ લહર પવન નચવે શી પેલો!
એમાં આ ઊજળો બરફ શો બગ ઊભેલો,
ને ચોગમ સૂકું રાન પડ્યું જેનો નહિ છેડો;
તે મૂકીને પાર નજર બગ નાંખે લાંબી,
કરીને ઊંચી ડોક, જુએ જ્યાં ભૂમિ વિરામી,
ને વળી તેની પાર ઊંડા નભમાંહી નિહાળે,
નવ લેખે નિજ છાંય પડી જે જળમાં મહાલે.
હું પણ આ જગરાન મહીં ઊભો રહી ઝાંખું
જીવન કેરું ક્ષિતિજ, દૃષ્ટિ વળી ઊંડી નાંખું,
નાંખી નીરખું જે દૂર સિન્ધુ પડિયો ફેલાઈ,
ને ન ગણું નિજ છાંય પડી જે આ સ્થળ માંહી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 74)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોષી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
