Samudrakantho - Metrical Poem | RekhtaGujarati

સમુદ્રકાંઠો

Samudrakantho

દલપતરામ દલપતરામ
સમુદ્રકાંઠો
દલપતરામ

ઓગાળ લીટિ પડી છે નિધિતીરતીર,

ધારે વિચા૨ નિરખી કવિ કોઈ ધીર;

જાણે સમુદ્ર મુખ તાંબુલ બીડી ચાવી,

રેખા પડી અધર ઉ૫૨ એથી આવી.

*

મોતી પ્રવાળ નિધિ મધ્ય સ્થળે વસે છે,

જો શંખલા છિપલિયો તટમાં દિસે છે;

મોંઘી ચિજો મનુષ જેમ ધરે પટારે;

સોંઘી ચિજો રખડતી રહિ જાય દ્વારે.

*

આવે તરંગ કરતા અતિ ઘૂઘવાટ,

ધીમા પડી તટ અડી ફરી જાય વાટ;

જાણે દિધેલી જગદીશ્વર કેરી આણ,

લોપી શકાતી નથી આવી તટ પ્રમાણ.

*

કાંઠે વળેલું જળમાં બહુ ફીણ જોઈ,

કાઢે વિચાર મનનો કવિ એક કોઈ;

જાણે શિવે વિષ બધું નિધિનું પડાવ્યું,

એથી અફિણી નિધિને મુખ ફીણ આવ્યું.

*

જો કરે અતિ ઘણો નિધિ ઘૂઘવાટ,

ગાજી રહ્યો ધ્વનિ થકી સઘળોય ઘાટ;

જાણે મદોન્મત વડો ગજરાજ ત્રાડે,

કે સિંહરાજ વનમાં બહુ બૂમ પાડે.

*

ઘોડા સમાન ઘુમતા જળ લોઢ આવે,

નૌકા નિશાનધર હાથણિયો સુહાવે;

ઘુઘવાટ વળી નોબતનાદ થાય,

સ્વારી ચઢાવી શુભ આજ સમુદ્ર રાય.

*

નૌકાની માળ કરી કંઠ ધરી ઉમંગે,

ઊર્મિ દિસે તિલકરેખ અનેક અંગે;

ઘૂઘવાટ હરિકર્ત્તનનો સમાજ,

રૂડો બન્યો નિરખિયે નિધિ ભક્તરાજ.

રસપ્રદ તથ્યો

લોઢ = પાણીનાં મોજાં

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002