દલપતરામ
Dalpatram
(ભુજંગી છંદ)
અરે ઓ કુવા તું ન લે ગર્વ એવો,
કહે કોણ દાતાર જે તૂજ જેવો;
નહીં નીર પામે વિના ગૂણવાળો,
રહે છે નિરાશી તૃષાથી દુખાળો.
નિધીને કહો કોણ ઝાઝો વખાણે.
પિવા પાણી મીઠું ન દે કોઈ ટાણે;
તૃષાતુર આશા કરી કોઈ આવે,
તૃષા તેતણી તો ટળે આ તળાવે.
અરે સિંધુ તું ગર્વનો છોડ ઘાટ,
ઘણો એવડો શો કરે ઘૂઘવાટ;
અમે તૂજ મોટાની મોટાઈ જાણી,
પિવાને ન પામે કદી કોઈ પાણી.
કરે નીરનું દાન જે કોઈ આવે,
નિરાશી નહિ કોઈ ત્યાંથી સિધાવે;
નિહાળી મને તો નકી દીલ ભાસે,
લીધો ગુણ શીખી પ્રજાપાળ પાસે.
તપ્યો તાપથી તે તણો તાપ ટાળે,
કરી શાંત આનંદનો ઓઘ વાળે;
ધીરા સજ્જનો શાંતિથી ધૈર્ય આપે,
દુઃખી લોકના દીલની દાઝ કાપે.
સદા સર્વ પામે તહાં નીર પાન,
દયાથી મહીપાળ દે જેમ દાન;
તથાપી કદીએ નહીં નીર તૂટે,
ખજાનો કદાપી નહીં જેમ ખૂટે.
જુઓ નીર પી પક્ષિઓ ઊડી જાય,
દશે દિશમાં વૃંદનાં વૃંદ ધાય;
મહારાજની કીર્તિ સૌને કહેવા,
ગયા ખેપિયા શું જુઓ પક્ષિ જેવા.
ગુણીના ગુણોને ન દેખે તપાસી,
કદી કોઈએ તે ન કાઢે નિરાશી;
તથાપી ખરો એક વિવેક આણે,
કરે છે સદા દાન પાત્ર પ્રમાણે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
