પૃથુરાજ રાસાની અર્પણપત્રિકા
pruthuraaj raasaanii arpanpatrikaa


(વસંત)
સૂર્યાસ્ત વેળ દિન એક બધું જ શાન્ત,
આકાશને ઘનદળે બહુ ઘેરી દીધ;
દૂરે થકી સમય તે કંઈ તેજ આવ્યું,
રૂપેરી રંગ વહીને દિશ સર્વ વ્યાપ્યું,
ન્હાયું જગત્ સકલ તેજ અપૂર્વ માંહિં,
આનંદ વ્યાપિ રહિયો મન માંહિં કાંઈ;
ચંદ્રે પ્રસારિ દીધ ચાંદની રમ્ય જાણે,
છાનો રહી અમૃતધાર અમોલ રેડે;
ધીમે ધીમે દળ બધું ઘન કેરૂં ભારે,
વ્યૂહો નવા રચતું જાય ફરી ફરીને,
ભંગાણ ત્યાંહિ પડિયું, વિખર્યું હવે તે,
ઘેરો ઉઠાવી લઈ નાઠું ત્વરાથકી એ;
ને પશ્ચિમે શકલ મેઘનું એક દીઠું,
સૂનેરી ઝૂલ થકી ઓપતું એ શું રૂડું!
તે ઊપરે મુજ પિતા નિરખ્યા વિરાજ્યા,
ને હર્ષ શોક થકી મ્હેંય પ્રણામ કીધા;
તે વેળ શાં સ્મરણ પૂર્વ તણાં થયાં, ને
સંસ્કાર ગૂઢ ઝળક્યા મુજ ચિત્ત માંહે;
તે ચિત્ર રમ્ય કંઈ જોયું ન જોયું હેવે
સંકેલી લીધ તહિં ચાંદની ચંદ્ર છાને.
હા! એ સમે મધુર ચિત્ર વિંટ્યું બધુંએ,
આવી ક્રૂરે ઝડપથી હીણ અંધકારે;
ન્હાનુંશું રમ્ય ઝરણું ફુટ્યું હર્ષનું જે,
તત્કાળ લુપ્ત થયું શોકપ્રવાહ માંહે;
કો ચિત્રકાર જ્યમ ચિત્ર સમીપ ઊભો,
રૂડું સ્વકાર્ય નીરખી મલકાઈ જાતો,
કો શ્યામરંગ લઈ તેપર નાંખી રાચે,
હા! ચિત્રકાર મન દુઃખ શું મૂર્ખ જાણે!
શાંને દુઃખી થવું વૃથા, પળ એક માંહિં
ફેડી, દીસે, તિમિરનો પટ, ચિત્ર ત્યાંહિં,
રહેશે છબી સ્થિર સદા હૃદયે જ મ્હારે,
જેમાં પીંછી લઈ પુર્યા કંઈ રંગ સ્નેહે.
રે અંધકાર! તુજ શા જગમાં બહૂએ,
કર્વા મલિન મધુરી કૃતિયો મથે છે,
તોયે ન એ અણુ સમી પડશે જ ઝાંખી,
મ્હાલે ભલે મનસુખી સુખ એમ માની.
સારંગી આ હૃદયરૂપની માંહિ વાગી,
કર્તવ્યતંત્રીજ મીઠા ધ્વનિ કાઢી ત્યાંહીં;
સ્નેહે લઈ અતુલ કોણ કૃતજ્ઞતાનો,
ચાતુર્યથી મધુર સૂર પસારી મૂક્યો.
હે માત કીધ ઉપકાર અનેક ત્હેં તો,
તે માનવા ઉપકૃતિ તું સમીપ આવ્યો,
ભાંડૂની સાથ સઘળાં મળી હેત ભાવે,
ને, અર્પું હું વિનયથી નમી નમ્ર ભાવે,
આ, તાતના હૃદયથી ઉપજેલ બાળ,
બંધુ સરીખ અમ પાસ ઉભું હસંત;
સૂતું હતું જ નિજ તાત વિયોગ દુઃખે,
લાડે ઉઠ્યું અહિં જ આવ્યું હમારી સંગે.



સ્રોત
- પુસ્તક : ઊર્મિમાળા (પૃષ્ઠ ક્રમાંક 20)
- સર્જક : સત્યેંદ્ર ભીમરાવ દીવટીઆ
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1912