રામનારાયણ વિ. પાઠક 'શેષ'
Ramnarayan V. Pathak 'Shesh'
(તોટક)
પ્રભુ, જીવન દે, હજી જીવન દે!
વિપદો નિતનિત્ય નવીન નડે,
ડગલું ભરતાં કુહરે જ પડે,
કંઈ ગુપ્ત ભયો મહીંથી ઊઘડે,
વનકંટકથી તને રક્ત ઝરે,
પણ તોય ન અશ્રુ કદાપિ ખરે
દૃગ, એ પડીને ફરીથી ઊપડે
પગ, એટલું હે પ્રભુ જીવન દે!
પ્રભુ, જીવન દે, નવજીવન દે!
પ્રભુ, બંધનમાં જકડાઈ ગયો,
મુજ દેહ બધો અકડાઈ ગયો,
અવ ચેતન દે,
નવચેતન દે!
સહુ એક જ ઘાથી હું તોડી દઉં,
તલ ગાઢ અહંત્વનું ફોડી દઉં,
તુજ વારિ વિશાલ મહીંથી ઊડે,
લઘુ પામરતા બધી માંહી બૂડે,
જલ એ ઊભરી અભર્યું જ ભરે,
પ્રભુ, એ જલમાં ઝીલવાનું જ દે!
પછી દર્દુર દીર્ઘ રવે જ ભલે
દિનરાત ડરાઉં ડરાઉં કરે.
પણ નિર્ભય મુક્ત અસીમ જલે
ઝીલતાં જનશું મળવાનું જ દે;
પ્રભુ, ચેતન દે, નવચેતન દે.
યદિ એ નવ દે,–
પણ જીવન ઓટ ન ખાળી શકું,
મુજ જીવન ખોટ ન વાળી શકું,
હળવે મુજ જીવનહ્રાસ થતો,
અમ નિર્બળનો ઉપહાસ થતો
જગ ટાળી શકું
નહિ, એવું ન દે! પ્રભુ, એ કરતાં,
મુજ આયુષશેષય સંહરતાં,
ઘડી યૌવન જીરણ અંગ તું દે,–
પ્રભુ, જિંદગી પુણ્ય વિના ગઈ છે,
પણ ક્યાં તુજ એ કરુણા ગઈ છે?–
બીજું ના કંઈ તો બસ આટલું દે,
જગ પાપ શું કૈં લડવાનું જ દે,
લડી પાર અને પડવાનું જ દે,
હસી મૃત્યુમુખે ધસવાનું જ દે,
ધસી મૃત્યુમુખે હસવાનું જ દે,
જીવવા નહિ તો,
મરવા કોઈ ભવ્ય પ્રસંગ તું દે!
ઘડી એ બસ એટલું યૌવન દે;
પ્રભુ, યૌવન દે, નવયૌવન દે!
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 83)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
