prabhaakar patrane vinanti ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh) - Metrical Poem | RekhtaGujarati

પ્રભાકર પત્રને વિનંતિ ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)

prabhaakar patrane vinanti ('Hindustan Upar Hunarkhan ni Chadhai'No Ansh)

દલપતરામ દલપતરામ
પ્રભાકર પત્રને વિનંતિ ('હિંદુસ્તાન ઉપર હુનરખાનની ચઢાઈ'નો અંશ)
દલપતરામ

(સવૈયો)

જ્ઞાનપ્રકાશ અવાસ અવાસ કરી, કર નાશ અજ્ઞાન અંધારૂં,

ઊંઘ ઉડાડ ઉઠાડ મહાબળિ, મંડળિસિંહ મહાજુદ્ધ સારૂ;

ઉદ્યમસ્થાન નિરૂદ્યમીને, દરશાવ શુણી પરણીપત મારૂં,

સાર્થક નામ સદા કરી લે તું, પ્રભાકર પત્ર પ્રભાકર તારૂં.

(છપ્પો)

પુસ્તકશાળા થકી, નકી અજ્ઞાનજ ટળશે,

સમય સમયપર શુદ્ધ, સભા સજ્જનની મળશે;

માસ માસમાં નવિન, પ્રવિન જન ભાષણ કરશે,

શ્રોતા વધશે સદા, સકળ જન એમ સુધરશે;

પછિ જાણશેજ રાજા પ્રજા, વર્તમાન લેઈ વાંચશે,

વળિ વિગતે વાત વિચારશે, પાંચ મળ્યા તો પાંચશે.

(કવિત)

જન સુધારાનું મૂળ જાણવી વિદ્યા જરૂર,

વિદ્યાનું છે મૂળ શાળા પુસ્તકોની પાઠની;

પાઠની પુસ્તકોની શાળાઓને સહાય કરો,

કરો પરમારથ મળાવી મુડી ગાંઠની;

તારશે અજ્ઞાન નદી તમારી પ્રજાને તેહ,

પ્રૌઢ નદી પાર હોડી કરે જેમ કાઠની;

આજથી ઉદ્યોગ જ્યારે આરંભશો અહોનિશ,

સુધરશે સર્વ પ્રજા વર્ષ મધ્ય સાઠની.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002