lagnatithi - Metrical Poem | RekhtaGujarati

વૈશાખની શશિમુખી સખિ! પંચમીનો

છે આજ દિન તુજ ને મુજ લગ્ન કેરો;

મોંઘો વળી વળી હલે! પ્રતિવર્ષ આવે,

ને વિસ્મર્યું સ્મરણ કાંઇ રસીલું લાવે.

કોલાહલે મનુજ જીવનને ભરીને

ગંભીર ઘેરું ભવસાગર કાંઈ ગાજે;

આગ પી વિચરતી મનુ કેરી સૃષ્ટિ,

પ્રારબ્ધપંથ ધપતી પ્રભુના પ્રયાણે.

તું ખેલતી ફુલવતી તટવાટિકામાં,

હું ઊગતો તટ તણા ગિરિરાજ ભેદી;

હા! એકદા ધવલ વેળુ વિશે કિનારે

ભેગા મળ્યાં, અણચિતાં રમવાં લાગ્યાં.

કીધાં પછી સુભગ મંદિર કલ્પનાનાં,

ત્હેમાં અનુપ રસની પધરાવી મૂર્તિ;

વ્હાલી! તૃષાજ્વલિત લોચન એમ ઠાર્યાં,

ત્હોયે ઊણું કંઇક અન્તરમાંહી ભાસ્યું.

ઊઠ્યાં, ઊઠાડી દૃગ આપણી પૃથ્વીમાંથી,

દીઠી વડી જીવનના જલધિની ઊર્મિ;

જાગ્યું કઈંક સખિ! દર્શન એહ લેતાં,

જાગ્યું અમોલું કઈંક ભાવવતું અનામી.

દીધો કરે કર, વર્યાં વધુ ઉચ્ચગામી,

ને આદરી રસિલી! આચરવા પ્રતિજ્ઞા;

સંઘટ્ટી ચન્દની ઘડી મનવેગી હોડી,

ત્હેમાં મહાસફર સારવવા ઠરાવ્યું.

વ્હાલી! વસન્ત જતી જીવનની વહે છે,

સંજીવની પ્રબળ શક્તિ હવે શમે છે;

ને મન્દ મન્દ પડતી દૃગ ઊર્ધ્વગામી,

ત્હોયે હજી જલધિ ઊતરવો રહ્યો છે.

શું શું કીધું? નથી નિરર્થક સન્ધું જીવ્યાં;

જો વેળુમાં ભવપટે પદપંક્તિ પાડી

રહેશે ઘડીક, ઘડી કોઈકને જણાશે,

ને સારગ્રાહી જન આશિષ કોક દેશે.

સ્રોત

  • પુસ્તક : ન્હાનાલાલ-મધુકોષ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : અનંતરાય રાવળ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2002