હરિશ્ચંદ્ર ભટ્ટ
Harishchandra Bhatt
(કેસૂડો)
ઓ કેસૂડા!
ઓ નંદના કુંવર! યૌવનમુગ્ધ લાલ,
શો ખીલતો નવ વસંતની દીપ્તિ ધારી,
ઉન્માદ શો જગવતો જનચિત્ત માંહીં!
ઓ મસ્ત! તેં વ્રજ મહીં ગ્રહી રાધિકાને?
શું તેં જ કામણ કરી વ્રજનારીઓને
રાસે રમાડી રસ-સાગરમાં ડુબાડી?
રે મેંય પી અમૃત એ તુજ રૂપ કેરાં
હૈયાની ભૂખ શમવી હતી કૈંક વેળા.
ઓ લાલ લાલ! ગિરિધારી લલા, ઓ લાલ!
(સોનેરુ)
સોનેરુ ઓ!
પીળાં પ્રફુલ્લ ફૂલ,પ્રૌઢ વિશાલ કાય,
ને ઘેરી છાંય વપુની કિરીટીસખા શી!
તું પૌરુષે સભર પ્રેરક સારથી શો!
ગાત્રો ગળે જીવન-યુદ્ધ મહીંય જ્યારે
તું એક કૃષ્ણ સમ પ્રેરક વર્તમાન
સંમોહ, સંભ્રમ ભૂલું તુજ પ્રેરણાથી;
સોનેરુ! તેં જય ૫રાજય કૃષ્ણ જેમ
મારા અનેક નીરખ્યા;
છે તું હિ પીતાંબર, પાર્થસારથિ!
કેસૂડો અને સોનેરુ = કાલિદાસે દેવદાર વિષે કહેવડાવ્યું છે : अमुं पुरः पश्यसि देवदारुं पुत्रीकृतोङसौ वृषभध्वजेन। એ પ્રમાણે કેસૂડાને નંદકુંવર કહ્યો છે. Laburnumનું આસામી નામ 'સોનેરુ' કાકાસાહેબ કાલેલકરે આપ્યું છે. આ બંને કાવ્યોમાં આરાધના અભિપ્રેત નથી.
સ્રોત
- પુસ્તક : સ્વપ્નપ્રયાણ (પૃષ્ઠ ક્રમાંક 33)
- સંપાદક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 1959
