નર્મદ
Narmad
(રોળાવૃત્ત)
પંચાસરનો રાજ, ચાવડાઓનું ભૂષણ;
જયશેખર કહાં આજ, વળી તેનો સાળો પણ?
સૂરપાળ રણસિંહ, ભુવડથી લલચાયો નહિ;
કુલીનજાયો તેહ, મરે પણ દે દગો નહિ.
મૂકે મિત્રને જેહ, અડી વેળાએ જે નર;
લૂંડીજાયો તેહ, જગતમાં તે જ ખરો ખર.
“ધસ્યા પછી જે ખસે, ધિઃક જીવવું છે તેનું;
“છેલ્લો છઉં હું રાજ, પરાક્રમ કરી મરું હું.”
એમ કહીને રાય જુદ્ધમાં ઘૂમ્યો ધસીને;
ગાંડા ગજની પેર, આખરે પડ્યો લડીને.
જયશેખરનું સેન, કુલીન રજપૂતો કેરું;
મૂઉં રાજને કાજ, નથી એ કરવું સ્હેલું.
સ્ત્રીઓ મ્હેલની તેહ, લડી લઈ ભુંગળ ને ગજ;
મારી હઠાવી સેન, બચાવ્યું રાજાનું શબ.
ધન્ય પ્રેમ ને શૌર્ય, અરે તે ક્યાં છે આજે?
ધિઃક ધિઃક નરનાર, જતાં રણમાં જે લાજે.
સોલંકી મૂળરાજ, વીર નાયક નહિ તો એ;
રણે બતાવ્યું શૂર, કર્યાં કામો તે સોહે.
અનલવાડનું રાજ, વધાર્યું ઝાઝું તેણે;
ક્યાં છે રજપૂત આજ, શૂર દરસાવ્યું જેણે?
ભીમદેવ હંમેશ, પ્રતાપી મોટો જોદ્ધો;
ઘણાંક બીજાં રાજ, રાખતાં જેનો મોભ્ભો.
સિદ્ધરાજ શૂરવીર, થયો નામાંકિત રાજા;
પ્રજાહિતમાં કામ, કર્યાં છે જેણે ઝાઝાં.
રાજા રાહખેંગાર, જૂનાગઢવાળો જેણે;
કર્યાં પરાક્રમ બહુ, મારિયો સિદ્ધો તેને.
સિદ્ધરાજ જયસિંગ, નથી દેખાતો આજે;
જોદ્ધો તે જગદેવ, આજ કાંહાં બિરાજે?
શૂરો ભોળોભીમ, ભીમના જેવો જોદ્ધો;
શૂરાઓમાં જેહ, ધરે ઊંચો બહુ ઓદ્ધો.
દિલ્લીપતિ પૃથિરાજ, તેહ પણ જેથી ડરતો;
ભીમ તેહેવો આજ, કોણ છે રણમાં લડતો?
કહાં કહાં તે શૂર, ઉર ઊંચું રણતૂરથી;
ગયું જનનું નૂર, જુદ્ધ જોએ નહિ દૂરથી.
ક્ષત્રીકેરું બીજ, કોહી ગયેલું છે સાચે;
અફીણી કાયર રાજ, જનાનાથી બહુ રાચે.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 131)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
