ek balkine smshan lai jatan - Metrical Poem | RekhtaGujarati

એક બાળકીને સ્મશાન લઈ જતાં

ek balkine smshan lai jatan

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
એક બાળકીને સ્મશાન લઈ જતાં
ઉમાશંકર જોશી

તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?

છતાં સૌયે રોયાં! રડી વડમા લોકશરમે,

હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.

બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં

ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે

નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને

વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?

- છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.

ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,

તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.

રહી'તી તાકી એ, શિર પર ચઢીને અવરને

સૂઈ રહેવાની રમત તુજ દેખી અવનવી,

અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;

-અમે આગે ચાલ્યા -રમત પરખી જૈ કપરી,

ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે

ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી.

અકેલીએ આખા જગત મહીં એણે વરતી.

અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ ગયું !

[બામણા, ડિસેમ્બર ૧૯૩૩. (ગંગોત્રી)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005