નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
(રોળાવૃત્ત)
માનવરાજે રચ્યાં મન્દિરો કીર્તિ કાજે,
કાળમહોદધિ મહીં કહીં લુપ્ત થયાં આજે;
કરતા કીર્તિસ્તમ્ભ ઊભા નામ અમર કરવા,
સહસા તે ભૂકમ્પ ગળી લઈ જાતા ગરવા.
ન રહેં નામનિશાન, રાનમાં રહે રખડતા,
શિલાખણ્ડ થઈ ચૂર્ણ જગોજગં મૃતસમ પડતા;
અચળ કીર્તિને કાજ કોતરી રાખ્યા લેખો,
ઘસાઈ ભૂસ્યા આજ દટાયા ધૂળમાં દેખો.
એક અચળ ને ભવ્ય વિશ્વમન્દિર આ ભાસે,
અનુ૫મ ઘુમ્મટ વ્યોમતણો જેનો ચોપાસે,
એક પુરુષ મહાન તણી એ કીર્તિ ગાયે–
નીરખી શકે રૂડી પેર અહીં જન કો વિરલા એ.
વિધ વિધ લખિયા લેખ દિવ્ય ભાષામાં ભારે,
એક પુરુષ મહાન તણા એ ગુણ ઉચ્ચારે;
અનુપરૂ૫ એ લેખ દીસે જગ રચના માંહીં;—
નભપટપર તારકાલેખ ચળકંતા ક્યાંહીં,
કહીં કહીં સન્ધ્યા-અભ્ર-રંગના લેખ સુહાતા,
કો ઘડી ઇન્દ્રધનુષ્ય-વર્ણના લેખ જણાતા;–
એમ નિરન્તર વિવિધ લેખ રચના ર્હે દીપી,
વાંચી શકે કો વિરલ દિવ્ય અદ્ભુત એ લિપિ.
દેશાટન કરી ભવ્ય મન્દિરો ભલે ન નીરખું,
ગૂઢલેખ લિપિભેદ ભલે હું ઉકેલી ન શકું;-
મહાન મન્દિર એક નીરખવા દૃષ્ટિ ચાહું,
દિવ્ય પુરુષના લેખ માગું શક્તિ ઊકલવા હું.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 154)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
