dhumra ne - Metrical Poem | RekhtaGujarati

(વસંતતિલકા)

શ્યામ મેઘ નભમાં ચડતો નિહાળી,

તેમાં દીસે મળી જવા થઈ વૃત્તિ તારી;

રે! ધૂમ્ર! અંબરપથે ચડવા ચહે શું?

ને એથી આશ્રય સમીર તણો કરે શું?

એવો તને અધિકાર, શક્તિ તારી,

તારો ઘન સજાતીય વ્યોમવાસી;

સ્વર્માર્ગ વિમળને વસવા તણો છે,

પ્રાણાર્પણે પ્રણયીના હૃદયે ગ્રહ્યો છે.

તું સર્વથા મલિન, નિંદિત ને નઠારો,

ક્યાંથી પવિત્ર પદ કદી પામવાનો?

વારિએ જગ વિષે વસી શું કર્યું છે,

એના વિચાર વિણ કાં અથડાય ઊંંચે?

માલિન્ય સકળ વિશ્વતણું મટાડે,

સંસર્ગથી પરમ શત્ય વળી પમાડે;

સંતાપ સૌ હૃદયમાં વસીને નિવારે,

ને અન્ય કાર્ય નિજ દેહ ત્યજી સુધારે.

તે સૃષ્ટિને શિર વિહાર કરી શકે છે,

સ્વચ્છંદ સ્વર્ગવનમાં વિચરી શકે છે;

દૃષ્ટિ વડે પણ જગદ્ભય હરે છે,

ને શબ્દમાત્ર થકી સાન્ત્વન કરે છે.

કૈંક કાળ પરશ્રેય કર્યા વિનાનો,

વિતાડવો અહીં પડે ઉર શોક એનો;

એથી ખરે! વદન ખિન્ન થયું દીસે છે,

ના શ્યામતા તુજ સમી વપુ વિષે છે.

તું તો ઘડી અહીં તહીં ફરી આસપાસે,

વૃક્ષ, શલ, રજમાં પડી શાંત થાશે;

સર્વ માંહીં તુજ કલ્મષ લિપ્ત થાશે.

તે મેઘના જળ વિના કદાપિ જાશે.

તું સર્વને મલિન સંગતિથી કરે છે.

ને દોષ જલદ જીવન દૈ હરે છે;

એેવો પરસ્પર વિરોધ જહાં વસે છે,

ત્યાં ઐક્યથી વિલસવા ઉર કાં ચહે છે?

સ્રોત

  • પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
  • પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1941