દામોદર બોટાદકર
Damodar Botadkar
(વસંતતિલકા)
આ શ્યામ મેઘ નભમાં ચડતો નિહાળી,
તેમાં દીસે મળી જવા થઈ વૃત્તિ તારી;
રે! ધૂમ્ર! અંબરપથે ચડવા ચહે શું?
ને એથી આશ્રય સમીર તણો કરે શું?
એવો તને ન અધિકાર, ન શક્તિ તારી,
તારો ન એ ઘન સજાતીય વ્યોમવાસી;
સ્વર્માર્ગ એ વિમળને વસવા તણો છે,
પ્રાણાર્પણે પ્રણયીના હૃદયે ગ્રહ્યો છે.
તું સર્વથા મલિન, નિંદિત ને નઠારો,
ક્યાંથી પવિત્ર પદ એ કદી પામવાનો?
એ વારિએ જગ વિષે વસી શું કર્યું છે,
એના વિચાર વિણ કાં અથડાય ઊંંચે?
માલિન્ય એ સકળ વિશ્વતણું મટાડે,
સંસર્ગથી પરમ શત્ય વળી પમાડે;
સંતાપ સૌ હૃદયમાં વસીને નિવારે,
ને અન્ય કાર્ય નિજ દેહ ત્યજી સુધારે.
તે સૃષ્ટિને શિર વિહાર કરી શકે છે,
સ્વચ્છંદ સ્વર્ગવનમાં વિચરી શકે છે;
દૃષ્ટિ વડે પણ જગદ્ભય એ હરે છે,
ને શબ્દમાત્ર થકી સાન્ત્વન એ કરે છે.
આ કૈંક કાળ પરશ્રેય કર્યા વિનાનો,
વિતાડવો અહીં પડે ઉર શોક એનો;
એથી ખરે! વદન ખિન્ન થયું દીસે છે,
ના શ્યામતા તુજ સમી વપુ એ વિષે છે.
તું તો ઘડી અહીં તહીં ફરી આસપાસે,
આ વૃક્ષ, શલ, રજમાં પડી શાંત થાશે;
એ સર્વ માંહીં તુજ કલ્મષ લિપ્ત થાશે.
તે મેઘના જળ વિના ન કદાપિ જાશે.
તું સર્વને મલિન સંગતિથી કરે છે.
ને દોષ એ જલદ જીવન દૈ હરે છે;
એેવો પરસ્પર વિરોધ જહાં વસે છે,
ત્યાં ઐક્યથી વિલસવા ઉર કાં ચહે છે?
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 2 (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
