દલપતરામ
Dalpatram
(દોહરા)
આખી પૃથ્વીમાં કદી, થાય ન રાજા એક;
તેમજ એક જ ધર્મ પણ, કદી ન ચાલે છેક.
ચોરી જારી જૂઠ વળી, પરને દેવું દુઃખ,
એનું નામ અધર્મ છે, સમજી પામો સુખ.
અસત્ય ભાષણ અદયતા, ચોરી વ્યસન વ્યભિચાર;
પ્રબળ પાપ એ પાંચ છે, સૌ સમજે સંસાર.
પરોપકાર સુધર્મ છે, સુધર્મ બીજું સત્ય;
જગમાં એવા ધર્મની, અતિશે દિશે અગત્ય.
તે આશા કે ત્રાસથી, પ્રીતે ધર્મ પળાય;
પરમેશ્વર પર પ્રેમથી, સુધર્મ પંથ ચલાય.
ધર્મ ઈશ્વરી એક છે, જન કૃત જુદાં હોય;
આંખે કોઈ ન સાંભળે, કાને ન જુએ કોય.
જે મધ્યે નીતિ દયા, ધર્મ ભલો સૌ કોય;
ચાંદીના સિક્કા બને, છાપ ગમે તે હોય.
નવ નિંદું પરધર્મને, નિંદું દુર્ગુણ દોષ;
સુખ માગે પરલોકનું, સુણી પામું સંતોષ.
માણસની મુઠી વિષે, વસ્તુ નહિ વરતાય;
તો જગદીશ્વરની કળા, અકળિત કેમ કળાય.
એકજ નદી તળાવ નહિ, દુકાન પણ નહિ એક;
ધરણી ઉ૫ર ધર્મના, એમજ પંથ અનેક.
મુસલમાન ને પારસી, હિંદુ ખ્રિસ્તી હરેક;
જુદા જુદા મત તજી, કેમ થાય મત એક.
સૌના મત સાચા કહો, એક સર્વનો દેવ;
એમ ગણે સૌ તો ટળે, તે ટંટા તતખેવ.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
