દેશાટન કરવા વિષે
deshatan karva vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
વિદેશમાં વિચર્યા વિના, પેટ ન પૂર્ણ ભરાય;
પશુઓ પણ પરભાતથી, જંગલ ચરવા જાય.
ઘેર રહે લક્ષ્મીધણી, હોંશે કેમ હમેશ;
રાજા રાજ્ય વધારવા, વિચરે દૂર વિદેશ.
વિદેશમાં વિચર્યા વિના, મળે ન મોટું માન;
સમુદ્રમાં વખણાત શું, સીપ તણાં સંતાન.
સાગર પંથ વેપારથી, મળે બહુ ધન માલ;
લક્ષ્મી માટે નિધિ મથ્યો, એહ અસલનો ચાલ.
પુરુષ ફરે પરદેશ તો, તે શ્રમ વ્યર્થ ન જાય;
પથરા પણ પરદેશ જઈ, મુલ્યવાન કહેવાય.
કદી પ્રવાસ કરે નહિ, હોય આળસૂ રાય;
જંગલમાંનું ઝાડવું ઊગે ત્યાંજ સૂકાય.
પ્રવાસથી તનમન ખિલે, પૂરણ પેટ ભરાય;
પ્રભાત ઉઠી પક્ષિ પણ, ચારો ચરવા જાય.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 184)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
