atmaparichay - Metrical Poem | RekhtaGujarati

આત્મપરિચય

atmaparichay

જ્યોતીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે

‘તમારી જાતનો આપો તમે જાતે પરિચય,’

તમારું વાકય વાંચી મને આશ્ચર્ય ઊપજે;

જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સખે?

જાણે જે જાતને તે યે જણાવે નહિ અન્યને.

તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું માન રાખવા;

જાણું–ના જાણું હું તો યે મથું ‘જાત જણાવવા.’

જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ

શૂદ્ર છું: કલ્પનામાંહે ક્ષત્રિયે હું બનું વળી.

શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી,

બ્રહ્મચર્યાશ્રમે ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડી ને જ્યારે ‘શાળાની બહેન’ને વર્યો;

ગાર્હસ્થ્યે આશ્રમ જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.

પ્રભુતામાં ધર્યા પાદ, પૃથ્વીને રસ-પાટલે;

પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.

દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું,

પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું.

વર્ણાશ્રમતણા આમ બધા હું ધર્મ પાળતો,

જાળવવા મથું નિત્યે આર્ય સંસ્કૃતિ વારસો.

અરિને મોદ અર્પન્તુ દ્રવ્ય અર્પન્તુ વૈદ્યને

વ્હાલાંને અર્પતું ચિંતા, મને પીડા સમર્પતું,

પૃથ્વી યે ખેંચતી જેને બહુ જોર થકી નહિ,

ભારહીણું મને એવું ઈશે શરીર આપિયું,

રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું,

એવું શરીર મારું, દવાઓથી ઘડાયલું.

સોટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે

વિદ્યા ને વેદના બે મેં એક સાથે મેળવ્યાં.

મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યો,

મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું!

વિદ્યાને પામવા પહેલાં, અર્થનો વ્યય મેં કર્યોં,

પછીથી અર્થને કાજે વિદ્યાવિક્રય આદર્યોં.

ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી,

ભર્યું ભાણું નિહાળીને ભૂખ મારી મરી જતી.

વૃત્તિ મારી સદા એવી હોય તે ના ચહે કદી,

હોય ના તે સદા માંગે, મળ્યે, માગ્યું ના ગમે!

સાહિત્ય સંગીત કલા વિષે મેં

ધરી રુચિ, કિન્તુ સિદ્ધિ આવી.

ગાઉં હું, કારણ માત્ર તેનું

આવે દયા કે સુણનાર કાનની.

કર્યું હતું એક વેળ જીવને

અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે

હું એકદા માર્ગ પરે નિરાંતે,

ઉઘાડપાદે ફરતો હતો ત્યાં

અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે

ફેંકી હતી તે પર પાદ મૂક્યો.

અને પછી નૃત્ય કર્યું કોઈએ.

સાહિત્યની કંટકવાડ ભેદવા

કરે ગ્રહી કાતર કાવ્ય કેરી,

પાડી છીંડું નાનકું એક ત્યાં હું

ખૂણે ઊભો; કાતર ફેંકી દીધી!

દેહ દાતણના જેવો, મન મર્કટના સમું

આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

નાના રૂપ ધરી હું એમ ખિલવું માયામયી સૃષ્ટિને,

ખેલું ખેલ અનન્ત શાન્ત જગમાં દિક્કાલને કંદુકે.

હું ચૈતન્યચૂડામણિ સકલ બ્રહ્માંડ વ્યાપી રહ્યો,

જે દેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી.

કુંજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી.

નિદ્રાભંગ કરંત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી.

દાતા હું સુવર્ણચંદ્રતણો, લેનાર યે હું છું,

હું ફૂટસ્થ, અનસ્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,

મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે!

સ્રોત

  • પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1966
  • આવૃત્તિ : 2