નરસિંહરાવ ભોળાનાથ દીવટિયા
Narsinhrao Bholanath Divatia
(ઉધોર)
પેલું બકરીકેરું બાળ,
વિખૂટું માડીથી આ કાળ;
ઊભું ઉચ્ચ ગિરિને શૃઙ્ગ,
કોઈ નાહી એની સંગ.
ઊજળું બરફસમ સોહાય,
પાછળ શિલા શ્યામ જણાય;
કરતું કરુણરવ કંઈ મન્દ,
વીસરી સહજ નિજ આનન્દ.
પડઘા થાય ગિરિની માંહ્ય,
સુણી તે ભૂલ માંહી ભમાય;
જાણે બોલી મોરી માય,
દેખે નહિ અધિક અકળાય.
કરતું અધિક ઊંચો નાદ,
ધરતું માડીકેરી યાદ;
ચોગમ બાળ જોતું જાય,
વાંકી ધવળ ડોક સુહાય.
નીચે ગાઢ ઝાડી ઘોર,
માંહીં સાવજોનો શોર;
સુણીને બાળ શું ગભરાય!
ક્યાંથી માડી સોડ લપાય?
“ધીરજ ધર તું, વ્હાલા બાળ!
આ હું આવું છું તત્કાળ.”
બોલી એમ મેં તે વેળ,
ટેકરી ટોચ પર જઈ સ્હેલ,
લીધું ગોદમાં અજબાળ,
ચુમ્બન કીધલાં દસ બાર;
ઊતરી કઠણ પર્વતવાટ,
મૂક્યું બાળ જ્યાં હતી માત;
લાગ્યું ધાવવા તત્કાળ
મારું મીઠું અજનું બાળ;
ને જો! નદીમાં અજશાવ
ધાવે માતને ધરી ભાવ!
થાતાં તૃપ્ત છૂટ્યું એહ,
શોભી અધિક ઊજળી દેહ;
નાચ્યું શિશુ ધરી ઉછરંગ,
નાચ્યું હૃદય મુજ તે સંગ.
સ્રોત
- પુસ્તક : કાવ્યપરિચય ભાગ 1 (પૃષ્ઠ ક્રમાંક 153)
- સંપાદક : રામનારાયણ વિ. પાઠક, નગીનદાસ ના. પારેખ
- પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ
- વર્ષ : 1939
- આવૃત્તિ : બીજી આવૃત્તિ, ત્રીજું પુનર્મુદ્રણ
