aaj re sapnaman mein to Dolto Dungar ditho jo - Lokgeeto | RekhtaGujarati

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

aaj re sapnaman mein to Dolto Dungar ditho jo

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો જો;

ખળખળતી નદીઉં રે સાહેલી મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો ઘમ્મર વલોણું દીઠું જો;

દહીં દૂધના વાટકડા રે સાહેલી મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો લવીંગ લાકડી દીઠી જો;

ઢીંગલાં ને પોતિયાં રે સાહેલી મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો જટાળો જોગી દીઠો જો;

સોનાની થાળી રે સાહેલી મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો પારસ પીપળો દીઠો જો;

તુલસીનો ક્યારો રે સાહેલી મારા સપનામાં.

આજ રે સપનામાં મેં તો ગુલાબી ગોટો દીઠો જો;

ફુલડિયાંની ફોર્યું રે સાહેલી મારા સપનામાં.

ડોલતો ડુંગર તો અમારો સસરો જો;

ખળખળતી નદીયું રે સાસુજી મારાં નાતાં’તાં.

લવીંગ લાકડી તો અમારો દેર જો;

ઢીંગલે પોતિયે રે દેરાણી મારાં જમતાં’તાં.

જટાળો જોગી તો અમારો નણદોઈ જો;

સોનાની થાળીએ રે નણંદી મારાં ખાતાં’તાં.

પારસ પીપળો તો અમારો ગોર જો;

તુલસીનો ક્યારો રે ગોરાણી મારાં પૂજતાં’તાં.

ગુલાબી ગોટો તો અમારો પરણ્યો જો;

ફુલડિયાંની ફોર્યું રે સાહેલી મારી ચૂંદડીમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 184)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966