Mot vishe ('Vencharitra'mathi) - Katha-kavya | RekhtaGujarati

મોત વિષે ('વેનચરિત્ર'માંથી)

Mot vishe ('Vencharitra'mathi)

દલપતરામ દલપતરામ
મોત વિષે ('વેનચરિત્ર'માંથી)
દલપતરામ

(ભુજંગી છંદ)

તજી મંદિરો માળિયાં ગોખ મેડી,

તજી બાગ ને બંગલા પ્રૌઢ પેઢી;

સ્મશાને સુકા કાષ્ઠમાં વાસ લેવો,

અરે આવશે એક તો દીન એવો.

ઘણા ઘેર મેના ઘણા હાથી ઘોડા,

ઘણા જુક્તિવાળા બન્યા બેલ જોડા;

ઘડીમાં થશે સ્વપ્નના સાજ જેવો,

અરે આવશે એક તો દીન એવો.

હશો ગામમાં સીમમાં કે કૃષીમાં,

હશો ખેદમાં કે હશો જો ખુશીમાં;

કહો કોણ જાણે હશે કાળ કેવો,

અરે આવશે એક તો દીન એવો.

નહીં આગળે કાગળેથી જણાવે,

નહીં કોઈ સાથે સંદેશો કહાવે;

અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો,

અરે આવશે એક તો દીન એવો.

પુરાં થૈ શક્યાં તે થશે કામ પૂરાં,

અધૂરાં રહ્યાં તે રહેશે અધૂરાં;

તડાકો તમે તોપનો જેમ ટેવો,

અરે આવશે એક તો દીન એવો.

દે પછી આંખ ઉઘાડવાને,

દે દ્રવ્ય દાટેલું દેખાડવાને;

દે બોલવા તે તથા શબ્દ તેવો,

અરે આવશે એક તો દીન એવો.

રહ્યા મિત્ર સંબંધી તે સર્વ રોશે.

જરી જોર ચાલે નહીં દૃષ્ટિ જોશે;

જશે ખાખ થૈ ઉડી તો અવેવો,

અરે આવશે એક તો દીન એવો.

હશે આજથી વર્ષ બારે અગ્યારે,

કદાપિ હશે આજ કે કાલ ક્યારે;

નકી તો નથી શો ભરુંસો રહેવો,

અરે આવશે એક તો દીન એવો.

લતે લાગી લાગી કરે લક્ષ લાંબા,

ઉછેરે અભીલાખના લાખ આંબા;

કહો કોણ ખાશે મહા મિષ્ટ મેવો,

અરે આવશે એક તો દીન એવો.

જાણે અધુરું રહ્યું કાંઈ કૃત્યે,

જાણે કશી ઓપટી કે અગત્યે;

ચડી ચોટમાં પાંશરો પ્રાણ દેવો,

અરે આવશે એક તો દીન એવો.

ભર્યાં પેટીમાં રાચ રૂડાં રૂપાળાં,

રહે તેમનાં તેમ દીધેલ તાળાં;

નથી કુંચીનો લૂમખો સાથ લેવો,

અરે આવશે એક તો દીન એવો.

ચિતે ચેતજો સદ્ય ચેતી શકો તો,

પુરા શોધથી બોધ પામો પકો તો;

સદાકાળ દલપત્તનો દેવ સેવો,

અરે આવશે એક તો દીન એવો.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002