દલપતરામ
Dalpatram
[પીંપળા પ્રતિ ઉક્તિ]
(દોહરો)
પામીશ પત્રો પિંપળા, નહીં તું થઈશ નિરાશ;
મિત્ર જતાં મારે થયો, પ્રૌઢ પાનખર માસ.
[કમળ પ્રતિ ઉક્તિ]
અરે કમળ કરમાય કાં, મળશે કાલે મિત્ર;
મિત્ર મળણ આશા મટી, દુઃખ મુજ દેખી વિચિત્ર.
(ઇંદ્રવિજય છંદ)
ચાતક તું શિદ આતકમાં અમથો પિયુ પીયુ પુકાર કરે રે;
ફોગટ તું ફરિયાદ કરે પણ એ અરજી ઉર કોણ ધરે રે;
સાંભળનાર ગયો સટકી પટકી પટકી શિર શીદ મરે રે,
દુઃખ સહો દલપત્ત કહે, ગણી આપણું એવું અદૃષ્ટ અરેરે.
[દીલગીરીની દીવાળી વિષે]
(મનહર છંદ)
દીવા દીવા નહિ, ભારે ભયતણા ભડકા છે,
રાક્ષસી આ રાત કાળા કાળ જેવી કાળી છે;
દારૂખાનું દેખી દેખી થાય છે દહન દીલ,
જાણું છું જે સગડીઓ શોકની પ્રજાળી છે;
હર્ષ થયો ભંગ રાગ રંગનો ઉમંગ ગયો,
સ્વાદહીન સુખડીઓ સેવ ને સુંવાળી છે;
દોસ્તદાર ફારબસ વિના દલપત કહે,
દીલગીરીવાળી આ દીવાળી ભૂંડી ભાળી છે.
[છમાસ વિત્યા વિષે]
(ઇંદ્રવિજય છંદ)
છેટું પડ્યાથી છમાસ જતા, છુટતું સુખ શોકથી છાતી છવાતી;
પત્ર મળે નહિ તો દલપત્ત, અધીરણીથી નહિ ધીર ધરાતી;
ઉઠતી આંચ અચાનકમાં, નિજ થાનકમાં પણ થીર ન થાતી,
ફાર્બસ મિત્ર જતાં નથી ફાટતિ, છેક કઠોર ઠરી મુજ છાતી.
[વિજોગનું ચોમાસું]
(મનહર છંદ)
ગાજે છે ગગન ઘટા, છાજે છે વીજળી છટા,
આજે છે એલી, એ તો બિરાજે છે સુરીતમાં;
જાય છે પ્રવાહ, ને ભરાય છે નદી તળાવ,
થાય છે સૌ ખુશી, ગુણ ગાય છે સુગીતમાં;
ભાગે છે ભાળીને મન, માગે છે મેળાપી મિત્ર,
જાગે છે વિરહ, હૈયે લાગે છે અહિતમાં;
ધરે રે જળદધાર; કરે રે કેકી પોકાર,
અરેરે કિન્લાક વિના ચરેરે છે ચિત્તમાં.
ઘરર ઘરર ઘણો ઘનતણો ઘોષ સુણી,
ચરર ચરર ચિત્ત દાઝે દીલગીરમાં;
ફરર ફરર ફરે પવન અવની પર,
સરર સરર વાગે શિરમાં શરીરમાં;
ખરર ખરર જળ જમીનમાં ખરી પડે,
ઝરર ઝરર ઝરે નેવ નીર નીરમાં;
થરર થરર સ્થૂળ સ્થિતિ તજી થથરે છે,
અરર અરર વૃત્તિ છે કિન્લાક વીરમાં.
[વર્ષ વીત્યા વિષે]
(ઇંદ્રવિજય છંદ)
આવી વળી વરષાઋતુ તો, વરસાદ વિશેષ વળી વરસાવ્યો;
શ્રાવણના દિન સર્વ ગયા, પછી ભાદરવો ભલી ભાત ભજાવ્યો;
વર્ષ પુરૂં દલપત્ત વિત્યું, દસરા દિન દૈવગતે દરશાવ્યો;
આવી દિવાળી વળી ફરીથી, ફરીથી પ્રિય ફાર્બસ તો નહિ આવ્યો.
(દ્વિઅર્થી — દોહરો)
ફાગણ આગળ ગત અને, આયો ચૈતર અંત;
શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યંત.
(સોરઠો)
દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
નિશ્ચય થઈ નિરાશ કઠોર બનીયું કાળજું.
કઇક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
એ દિન ક્યાંથી આજ, મળીયે ફાર્બસ મિત્રને.
[બીજે વર્ષે દુકાળની ધાસ્તી વિષે]
(ઇંદ્રવિજ્ય છંદ)
દુષ્ટ દુકાળ કરાળ કૃતિ તજ, ક્રોધ હવે ન કરીશ કદાપિ,
ફાર્બસ ઢાલ ધિંગી ગત થૈ, મુજ, તર્ક તુરંગ પડ્યો તનુ કાંપી;
હીંમત ગૈ હથિયાર પડ્યાં, પછી તું શીદ માંડ છ તાક તથાપિ,
ચાહી ચલાવ ચડ્યા પરપોટા, પડ્યા પર પાટુ ન મારીશ પાપી.
[મિત્ર પ્રતિ ઉક્તિ]
(સોરઠા)
વાલા તારાં વેણ, સ્વપનામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ, ફરી ન દીઠાં ફારબસ.
આજ કાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને ભ્રાત, ફરી ન બેઠા ફારબસ.
પામ્યો ગતિ પવિત્ર, જઈને બેઠો જોખમાં;
મિત્ર તણી તેં મિત્ર, ફિકર ન રાખી ફારબસ.
દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી;
વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ.
ઉચર્યો કદી ન એક, જુઠો દિલાસો જીભથી;
છેલીવારે છેક, ફોગટ બોલ્યો ફારબસ.
દીઠા નહીં દેદાર, સંદેશો નહિ સાંભળ્યો;
કાગળ પણ કો વાર, ફરી ન લખિયો ફારબસ.
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ; ફંટાયો તું ફારબસ.
માનવ જાતી માત્ર, ભલે વસે સઉ ભૂમિમાં;
પણ પ્રીતિનું પાત્ર, ફૂટી ગયું રે ફારબસ.
લાખ લડાવ્યાં લાડ, સુખ તે તો સ્વપ્ને ગયું;
ઝાઝાં દુખનાં ઝાડ, ફળવા લાગ્યાં ફારબસ.
અંતરની ગત એક, ઈશ્વર જાણે આપણો;
છેટું પડ્યાથી છેક, ફરૂં ઉદાસી ફારબસ.
તારા બોલ તણાજ, ભણકારા વાગે ભલા;
ઉપજે ઘાટ ઘણાજ, ફરી ક્યાં દેખું ફારબસ.
નેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે;
વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ.
[મન વાળવા વિષે]
(મનહર છંદ)
અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
તેનો પરિતાપ કીધે પાપ ફળ ફળશે;
કીધાથી હમેશ ક્લેશ વેદના વિશેષ થશે,
કાંતો તારૂં કાળજું ટકાવમાંથી ટળશે;
તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્યે મળશે;
ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે.
(દોહરા)
પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત.
વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ,
સદા ગયા પછી સાંભરે, દિન દિન દાઝે દેહ.
(સોરઠા)
મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને.
જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
કરે સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે.
[તે સ્ત્રી પુરૂષના ગુણ વિષે]
(મનહર છંદ)
એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક;
ચતુરતા એક ચિત્ત એકજ વિચારનાં;
એક ભક્તિ એક ભાવ એકજ સ્વભાવ શુદ્ધ,
નિરંતર એકજ લક્ષણ નર નારનાં;
પતિ નામ મિસ્તર નેં પતની મિસીસ નામ,
ફારબસ જોડ એટલાજ ફેરફારનાં;
બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
ગુણે સ્ટીરિયોસકોપ પ્રતિમા પ્રકારનાં.
[રાસમાળાના પુસ્તક વિષે]
પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન
પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
પેખીએ પવિત્ર પત્ર, વાક્યફળ ફુલ તત્ર,
બનેલી છબીઓ તે તો બની ગોપ બાળા છે;
નૃપ કુળ વરણનું ગણું ગીત ગાનતાન,
ગોઠવેલા રાગ ગોપ વાંસળીઓ વાળા છે;
દીસે નવ રસ મય દાખે દલપતરામ,
રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે.
જળદધાર - વર્ષાદ; કેકી - મોર; સ્થૂળ - શરીર; કરાળ - વિકરાળ; તુરંગ - ઘોડો; સ્ટીરિયોસકોપ - એક પેટીમાં બે છબીઓ હોય, પમ જોતાં એક દેખાય છે તે; મધુવન - વ્રંદાવન; રસાળા - પૃથ્વી
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
