Mitra ni Dilgiri (Farbas virah) - Karun Prashasti | RekhtaGujarati

મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)

Mitra ni Dilgiri (Farbas virah)

દલપતરામ દલપતરામ
મિત્રની દીલગીરી (ફાર્બસ વિરહ)
દલપતરામ

(મનહર છંદ)

શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,

તેનો શોક તજી શા થકી સંતોષ વાળવો;

કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,

ખરેખરો ખેદ તે તો કેમ કરી ટાળવો;

પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાગી પડી,

હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો;

દાખે દલપતરામ પામરનો પાળનાર,

મુંબઈમાં હતો તે લુંટાઈ ગયો માળવો.

(ઇંદ્રવિજ્ય છંદ)

તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે;

જાતું રહ્યું સુખ તો શતજોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;

તેની છબી તરે નજરે, કદિ એક કલાક છેક છુપાવે;

કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે.

તર્ક વિતર્ક કવિત્વતણો, કવિના દિલમાંહિ શિથિલ દેખાણો;

દેશી તણી દરશાઈ દશા બુરિ, જ્યાંતહાં લક્ષ્મી વિનાશ જણાણો;

બુદ્ધિ ફરી બુદ્ધિમાનજનોની, ભલાજનનો પણ જીવ ભ્રમાણો.

દેખિ એવું દલપત્ત કહે, નરફાર્બસ સ્વર્ગ ગયો મન જાણ્યો.

(દોહરો)

નિર્ધન લોકો નિરખિયે, સદન સદન બહુ શોક;

સાહેબ ફાર્બસ સાથ ગઈ, લક્ષ્મી પણ પરલોક.

(મનહર છંદ)

સંધ્યા સમે વસુધા ને વ્યોમતણા સાંધાવિષે,

અવલોક્યો રાતો આભ ચડીને અગાશિયે;

જાણે કે કિન્લાક સુબો જગત તજી જવાથી,

ભૂમિએ ભગવો ભેખ ઓઢ્યો છે ઉદાસિયે;

સૂર્ય શશિ સામસામા પશ્ચિમ પૂરવ પાસે,

તેની ઉપમા તો તેવા તર્કથી તપાસિયે;

જોગણી બણી જરૂર જાણે દલપતરામ,

કાંધે ધરી કાવડ ધરણી ધાઈ કાશીયે.

વાલાના વિજોગવાળી વેદનાની વિગત તો,

જે જને જાણેલી હોય તે જન જાણશે;

પ્રસવની પીડા અપ્રસુતા તો પીછાણે નહિ,

પ્રસવની પીડા તો પ્રસુતા પીછાણશે;

ઘાયેલના ઘટતણી ઘાયેલ ઘણીક જાણે,

અવર તો વિષે અંદેશો ઉર આણશે;

દાદુરનું દુઃખ દેખી દાખે દલપતરામ,

હાડિયો તો હશી ખેલી ખેલ તે વખાણશે.

(ઇંદ્રવિજ્ય છંદ)

ગામ ગરાસ ધરાધન ધામની, ખોટનું દુઃખ ખરૂં પણ ખોટું;

સંતતિહીન કુટુંબ કુસંપનું, છાતિતણું દુઃખ તે પણ છોટું;

ક્રોડ રિપૂતણું કોણ ગણે, કદી ચોગણું આવી ચઢી દુખ ચોટ્યું;

મેં મનમાં અનુમાન કર્યું, દુખ મિત્રવિજોગનું સર્વથી મોટું.

(દોહરો)

પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય;

કાંતો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય?

રસપ્રદ તથ્યો

નિવાસ = તા. ૩૧મી ઓગસ્ટ અને ૧૮૬૫ પૂનામાં દેહ મૂક્યો; વિનાશ = શેરસટ્ટાથી

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002