jhankhnaa - Ghazals | RekhtaGujarati

કો’ જખ્મી ઉરનું સ્પંદન સૂર સાતે-સાત ઝંખે છે,

સૂરીલો તાર પણ તરબોનો પ્રત્યાઘાત ઝંખે છે.

ફના પંથે જનારાને મરણની હોય શી પરવા?

પતંગા પ્રાણને સાટે ફકત એક રાત ઝંખે છે.

વિરહ આગે બળેલું દિલ ગતાગમ ખોઈ બેઠું છે,

નયનને કો’ક સમજાવો, અશ્રુપાત ઝંખે છે.

ધગેલો છે હજી લાવા ધરતીના પડેપડમાં,

થવા જ્વાળામુખી આગ ઉલ્કાપાત ઝંખે છે.

કિનારાની ભલા મગદૂર શી, એને ડુબાવી દે,

વમળમાં ડૂબવા નાવ ઝંઝાવાત ઝંખે છે.

ખરેખર વિધિની ક્રૂરતા નહિ તો બીજું શું છે?

પ્રભાતે ખીલતું કો’ પુષ્પ દૃષ્ટિપાત ઝંખે છે.

ઢળ્યું સિંદૂર સેંથાનું મિલન-વ્યાકુળ રજનીનું,

સૂરજને શી ખબર મળવા અભાગણ રાત ઝંખે છે!

સ્વપનમાં દર્શની ઝાંખી થઈ કે ના થઈ તો શું?

ઉઘાડી આંખ દર્શન હવે સાક્ષાત્ ઝંખે છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 151)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ