સ્થિર જળ સાથે અટકચાળા ન કર
sthiir jal saathe atakchaalaa na kar
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

સ્થિર જળ સાથે અટકચાળા ન કર,
કાંકરા નાખીને કૂંડાળા ન કર.
લોક દિવાળી ભલે ને ઊજવે,
પેટ બાળીને તું અજવાળા ન કર!
આજથી ગણ આવનારી કાલને,
પાછલાં વરસોના સરવાળા ન કર!
ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે,
ઈંટને તોડીને ઢેખાળા ન કર.
થઈ શકે તો રૂબરૂ આવીને મળ,
ઊંઘમાં આવીને ગોટાળા ન કર.
કે કવિતાઓ બધી મોઢે મને,
મારી મિલકતનાં તું રખવાળા ન કર.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 93)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : ફાર્બસ ગુજરાતી સભા
- વર્ષ : 2000