શિકાયત ભૂલથી પણ હું
shikayat bhulthi pan hu
રાઝ નવસારવી
Raaz Navsarvi

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી,
નથી હું આપતો ઉત્તર કદી પથ્થનો પથ્થરથી.
ઉપેક્ષા પ્રેમની કરસો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી?
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો' તોફાની સાગરથી.
જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.
પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.
મુસાફર તો વિખૂટા થાય છે ક્યારેક મંઝિલથી,
એ મંઝિલનું શું કહેવું જે વિખૂટી થઈ મુસાફરથી.
ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તવંગર 'રાઝ' શી નિસ્બત તવંગરથી.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 147)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ