wayune - Ghazals | RekhtaGujarati

વાયુને

wayune

ચિનુ મોદી ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે

સુગંધી છે કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડ્યાની બીકથી

જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે

ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી

ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઇર્શાદ’

ના ગમે તો વાત આગળ ના કરે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012