nadan bulbul - Ghazals | RekhtaGujarati

ઊડો નાદાન મન બુલબુલ, રહો ગુલઝારમાં ના ના;

વફાઈ એક પણ ગુલની, દીઠી ભર પ્યારમાં ના ના.

સુણાવો ગાનની તાનો, જઈને દ્વાર દર્દીને;

અરે બેદર્દીના દર્દે, રહો દરકારમાં ના ના.

રહો જ્યાં ચંગ ને ઉપંગ, વીણા નાદ વાજે છે;

ઘડી બેવફાઈના રહો દરબારમાં ના ના.

કદાપિ રાતભર રો તું, સહી શરદી ગરીબીથી;

પરંતુ બોલ પ્યારે, જુલમગારે દીધો ના ના.

સુકાશે તાહરું ગુલઝાર, પણ જો ગ્રીષ્મ આવે છે;

પ્રજળશે વિશ્વ વહિનથી રહે તુજ પાંખડી ના ના.

સુકોમળ પાંદડી ઉપર, ઊના અગ્નિ થકી તારાં;

અરે અફસોસ આંસુએ, અસર કાંઈ કરી ના ના.

અબોલા પ્રીતમે તારી, દશા કેવી કરી ભારી!

કરુણાથી રડી ગાતાં, નજર કાંઈ કરી ના ના.

પૂજારી થઈ ચઢ્યો દ્વારે, અરે તે દ્વારમાં તારી;

કતલ કરતાં ખરે! પ્યારે, કસર કાંઈ કરી ના ના.

નથી અડકાતું ચૂંટાતું, ફરે ફેરા તું પછવાડે;

ગરીબીની ગુમાનીએ, ગરજ કાંઈ ધરી ના ના.

અરે પ્રીતમાં આખર, પ્રીતમ પ્રેમી પરખાશે;

જશે ગુલબંધ વન થાશે, ગુજર અંદર થશે ના ના.

રુવે તું રાનમાં જ્યારે, હસે ત્યારે ગુમાની ગુલ;

અરે! એને દિલે દૈવે, દયા પેદા કરી ના ના.

સુગંધી વાસમાં ઉદાર, મફત છે જન્મથી તેમાં;

બાકી બોલની રાખી, કૃપણતામાં જરા ના ના.

વિધિના ઊલટા અંકો, સુવર્ણે ક્યાં થકી સુરભી!

તને કોમળ અહો મન કેરી, કોમળતા કરી ના ના.

વળી જો સવારે સર્વ, અંગો અંગ ખિલવીને;

જઈ ઠરશે બીજે હાથે, વફાઈ કંઈ ધરી ના ના.

બળાપા બાલનાથી રાતભર રાકાપતિ દાઝયો;

સમુદ્રે જઈ પડ્યો શીતળ થવા, શાન્તિ રહી ના ના.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942