whan - Ghazals | RekhtaGujarati

આપણા સંબંધના ઇતિહાસનો સાર છે

પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન

આપણો તો વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું?

જીવવાની વૃત્તિનો સૌથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે

કેમ સમજાવું તને કે વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારેતરફ આજેય તે

એક શું પાણી ભરેલાં વ્હાણ અપરંપાર છે.

(ઓક્ટો.’૭૮)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012