nayan raktbhiinaa - Ghazals | RekhtaGujarati

નયન રક્તભીનાં

nayan raktbhiinaa

રજની પાલનપુરી રજની પાલનપુરી
નયન રક્તભીનાં
રજની પાલનપુરી

પ્રતીક્ષા કોઈની કરું છું હું કિંતુ,

એક વાતની મુજને સમજણ પડી ના :

ભ્રમણ કોણે રોક્યું સમય-ચક્ર કેરું

નિયમ કોણે બદલ્યા સૂરજની ગતિના?

ભર્યુંભાદર્યું છે હૃદય ઊર્મિઓથી,

પ્રવૃત્તિમાં વીતે છે દિન જિંદગીના;

જતા દિવસે શું-શું થશે કોણ જાણે,

મહેમાન તો છે યુવાની સુધીના.

હવે સૌ પ્રયત્નો નકામા છે, દિલ,

મહોબતની દુનિયા સ્વયં સંકુચિત છે;

હટાવી દીધા સર્વ અવરોધ તોપણ,

વિરહ રાતથી રાત આગળ વધી ના.

નથી કરવી બચવાની કોશિશ અમારે;

ડૂબીશું તો મોજાંના મારાથી બચશું;

નથી હોતાં તોફાન સાગરના તળમાં,

નથી હોતા ભય ત્યાં કોઈ જિંદગીના.

ઉષાની જુદાઈમાં ‘રજની’નું જીવન,

ઉષામય બનાવી દીધું પ્રકૃતિએ;

નયન રક્તવર્ણાં સભર આંસુઓથી,

છે જાણે પ્રભાતે ગુલાબ ઓસ-ભીનાં.

સ્વભાવે ‘રજની’નું દિલ છે ગુલાબી,

ગમે તે દશામાંય ખીલી ઊઠે છે;

મિલન-ટાણે રંગો ‘ઉષા’ના મળે છે,

વિરહમાં રહે છે નયન રક્તભીનાં.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ