kalpant - Ghazals | RekhtaGujarati

કલ્પાંત

kalpant

ચિનુ મોદી ચિનુ મોદી
કલ્પાંત
ચિનુ મોદી

પાપનાં ને પુણ્યનાં શું કામ કલ્પાંત છે?

સ્વર્ગની ને નર્કની સરખી સજા-દેહાંત છે.

પર્ણને પિંજર ગણી ઊડી જનારી સારિકા

કેમ નક્કી થાય કે ભ્રાંત છે, નિભ્રાંત છે?

કાચના ઘરમાં ઉઘાડેછોગ રહેવાથી મને

વેદના એવી મળી કે વાણી આમરણાંત છે.

મૂઢ છું કે સ્વસ્થ છું; પણ, છે હકીકત સો ટકા

પથ્થરો પડવા છતાં પાણી બરાબર શાંત છે.

લાખ જણ લખતા, જીવીને કેટલા લખતા ગઝલ?

આપણી પાસે ફક્ત ઇર્શાદનું દૃષ્ટાંત છે.

(નવે.’૭૮, મે’ ૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012