કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો
kavinaa gaam madhye jaii, kavinaa praan laii aavo

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો
kavinaa gaam madhye jaii, kavinaa praan laii aavo
ઉર્વીશ વસાવડા
Urvish Vasavada

કવિના ગામ મધ્યે જઈ, કવિના પ્રાણ લઈ આવો,
કવન અકબંધ રહેવા દઈ, કવિના પ્રાણ લઈ આવો.
ફૂલોથી પણ વધુ નાજુક કવિનું ઘર છે સમજીને,
સુકોમળ ઓસ જેવા થઈ, કવિના પ્રાણ લઈ આવો.
પડે વિક્ષેપ ના સ્હેજે કવિની ગાઢ નિદ્રામાં,
ચરણને મૌન રહેવા કહી, કવિના પ્રાણ લઈ આવો.
પ્રતીક્ષારત હશે શબ્દો જવા ઘરમાં ગરિમાથી,
અદબથી સાથ એના રહી, કવિના પ્રાણ લઈ આવો.
ખજાનો છે ખરેખર સ્વર્ગ માટે પણ મહામૂલો,
જતનપૂર્વક ને સાવધ રહી, કવિના પ્રાણ લઈ આવો.
કલમ હો હાથમાં તો બે ઘડી દ્વારે ઊભા રહેજો,
રજા મા શારદાની લઈ, કવિના પ્રાણ લઈ આવો.



સ્રોત
- પુસ્તક : પુષ્પનો પગરવ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ઉર્વીશ વસાવડા
- પ્રકાશક : મીડિયા પબ્લિકેશન
- વર્ષ : 2011