કહેવાઈ જાય છે
kahevaaii jaay chhe
ગિરધરલાલ 'મુખી'
Girdharlal Mukhi

રુદન કે હાસ્યની રેખા બધી વંચાઈ જાયે છે,
હૃદયના ભાવ આંખોમાં સદા પરખાઈ જાયે છે.
ગગનના તારલા, ધરતીનાં ફૂલો બેઅસર લાગે,
હૃદયમાં જ્યારે એની વેદના પથરાઈ જાયે છે.
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણમાં યુગ બદલાઈ જાયે છે.
કરામત છે એ તારા હાથની, સાકી,–કે મારાથી
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાયે છે.
સમજ પડતી નથી, શું આજ દિલમાં થાય છે અમને?
ન કહેવાનું અનાયાસે ‘મુખી’ કહેવાઈ જાયે છે.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 95)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ