આકાશથી વિશેષ શિખર પર કશું નથી
aakaashthii vishesh shikhar par kashun nathii
સુનીલ શાહ
Sunil Shah

આકાશથી વિશેષ શિખર પર કશું નથી,
તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?
એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી.
હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી.
માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!
એ બોલ્યો કે કવિતા તો શબ્દોની છે રમત,
સૌ જાણે છે કે સર્જવું એનું ગજું નથી!
વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.



રસપ્રદ તથ્યો
(પંક્તિ સૌજન્ય : પંકજ વખારિયા)
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ