jindgii niiras thataan aansu niikaltaan hoy chhe - Ghazals | RekhtaGujarati

જિંદગી નીરસ થતાં આંસુ નીકળતાં હોય છે

jindgii niiras thataan aansu niikaltaan hoy chhe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
જિંદગી નીરસ થતાં આંસુ નીકળતાં હોય છે
બરકત વીરાણી 'બેફામ'

જિંદગી નીરસ થતાં આંસુ નીકળતાં હોય છે,

સમંદર શુષ્ક બનતાં મોતી મળતાં હોય છે.

તાજગી સૌ મેળવે છે અન્યના પ્રસ્વેદથી,

ફૂલ ખીલવા કાજ ઝાકળથી પલળતાં હોય છે.

કુદરતી સંકટ સમે દુનિયા સતાવે છે વધુ,

થાય છે વરસાદ તો સાગર ઉછળતાં હોય છે.

ખુદા, ભાગ્યશાળીનું મને તું રૂપ દે;

જેને મળવા ચાહું છું, એને જે મળતાં હોય છે.

પુણ્ય જોવાં હો તો મારાં પાપની સામે જો,

હોય જ્યોતિ ત્યાં ધુમાડા પણ નીકળતાં હોય છે.

ઇશ, મારા પંથ પર પથરાવજે એનો પ્રકાશ;

જોઈને મારી તરક્કી જેઓ બળતાં હોય છે.

જડ થવાથીયે અહીં મનની જલન જાતિ નથી,

પહાડ પણ લાવા રૂપે ભીતર પીગળતાં હોય છે.

હો ગમે તેવી દશા, હું એકલો પડતો નથી;

જાય છે જો મિત્ર, શત્રુ ઘેરી વળતાં હોય છે.

વિશ્વને લઈ જાય છે બેફામ જેઓ મંઝિલે,

જિન્દગીમાં બધાં રસ્તે રઝળતાં હોય છે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2023