હરણને ખરી ક્યાં ખબર હોય છે
haranne kharii kyaan khabar hoy chhe
મનોરમા રાવલ
Manorama Raval
મનોરમા રાવલ
Manorama Raval
હરણને ખરી ક્યાં ખબર હોય છે,
અહીં ઝાંઝવાંનાં નગર હોય છે.
દિવસ રાત ખાલી થતું તે છતાં,
ગગન તર નહીં, તરબતર હોય છે.
કિનારે રહી પાર કરશું નદી,
અમારી નીતરતી નજર હોય છે.
થતું ચાલતા શ્વાસ સોંપી દઉં,
કઈ ધારણાની અસર હોય છે?
લપેટાય, છૂટે પડે ને ફરે,
ભમરડાની મિથ્યા સફર હોય છે.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 41)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
