prem ane satkar - Ghazals | RekhtaGujarati

પ્રેમ અને સત્કાર

prem ane satkar

દામોદર બોટાદકર દામોદર બોટાદકર
પ્રેમ અને સત્કાર
દામોદર બોટાદકર

લખ્યું તેં પત્રમાં પ્યારા! 'નથી સત્કાર મેં કીધો,

ખબર વિવેકની મુજને નથી તો તું ક્ષમા કરજે.'

અહો! સત્સ્નેહને અંગે, સુહૃદ બોલવું છાજે?

અરે જો પ્રેમ આદરને નહીં પ્રેમ પ્રેમીનો.

અખંડિત પ્રેમને બન્ધુ! જરૂર શું હોય આદરની?

‘પધારો, આવજો, બેસો,' વૃથા વાદ શા સારૂ?

હૃદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માગ્યો,

નયનસત્કાર નવ ઈચ્છે, વદનસત્કાર શાને તો?

વિનય રસના તણો એવો, બતાવે પ્રેમમાં ખામી;

પ્રપંચી કાજ રહેવા દો, ઈચ્છે પ્રેમનાં પાત્રો.

હસે દિલ પ્રેમનાં ભરિયાં, રહે જુદાં છતાં સંગે.

વિનય સત્કારને એમાં, નથી અવકાશ મળવાનો.

પધારો એમ કહેવાથી, પધારે તે પધાર્યા ના!

નિમંત્રણ પ્રેમીને શેનાં? અનાદર પ્રેમીને શાનો?

મળ્યાં છે ચિત્ત વિણયત્ને, શરીર જોડાવવાં શાને?

કરે કર આપવો શાનો? મને મન જ્યાં મળેલાં છે?

હજુ 'હું–તું' તણો દિલમાં રહ્યો છું દ્વૈત-મત તુજને?

ક્ષમાની યાચના તે ક્યાં? ક્ષમા કરનાર કો બીજો?

'પધારો' આદિ પોતાને કહે તે તો વિકલ ભાસે;

વિકલતા પત્ર તારામાં મને સન્મિત્ર! ભાસે છે.

સુહૃદનું આગમન થાતાં ઊઠે સત્કાર કરવાને.

અરે! તો જનો જૂઠા, ખરેખર! બાહ્ય પ્રેમી તે.

ભલે! થીગડાં દેવાં હજો અતિ ઈષ્ટ શિષ્ટોને,

સ્પૃહા સપ્રેમના ભોગી, જનો તે તેની ક્યમ રાખે?

વિનયની પૂરણી માગે અધૂરી એટલી પ્રીતિ,

પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942