aphwa - Ghazals | RekhtaGujarati

સાત પુષ્પોને નિચોવી માપસર

એક અફવા તરબતર તૈયાર કર.

મેઘમાળાઓ વિખેર્યા બાદ તું

આભના ખાલીપણાથી કેમ ડર?

ટેવવશ કે લાગણીવશ - શી ખબર?

પણ, હજી સ્હોરાય મન તારા વગર.

પાલખીનો ભાર લાગે છે હવે-

રાજરાણી લાગણી! હેઠે ઊતર.

શ્વાસની લાંબી લાં...બ્બી છે સફર

તું થયો ઇર્શાદ ક્યાં અજરાઅમર?

(11 મે, 1991)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012