અગર તે યાર મારો તો બધો સંસાર મારો છે
agar te yaar maaro to badho sansaar maaro chhe


અગર તે યાર મારો તો બધો સંસાર મારો છે;
કૃપા તેની થતાં જાણીશ કે કિરતાર મારો છે.
મદીલી આંખ તેની જોઈને ચકચૂર બેઠો છું;
કે હું બેહોશ જેનો તે ખરો હુશિયાર મારો છે
ન મસ્જિદમાં ન મંદિરમાં ન મક્કામાં ન કાશીમાં;
ફક્ત આ દિલ બની દિલમાં વસ્યો દિલદાર મારો છે.
ભમું ભટકું છતાં દેખું નહીં પાસે પડેલાને;
ભરેલો ભેદના ભંડારથી ભંડાર મારો છે.
કહે છે લોક દુનિયામાં અપાર પ્યારનો દરિયો;
નથી જો પાર તારો તો પછી ક્યાં પાર મારો છે?
જુનૂંના જોશમાં મજનૂં થઈ મ્હાલું છું બેપરવા;
ન જેનો કોઈ પણ આધાર તે આધાર મારો છે.
દબાવી હાથમાં મુજ દિલ કહે છે આંખ કહાડીને;
અરે એ માલ તો નાદાર દેવાદાર મારો છે.
હૃદય મુજ પગતળે કચરી કહે છે મુક્તિ આપું છું;
અરે આખેટ મારો તારે શિર આભાર મારો છે.
ખુદાઈમાં જુદાઈ થાય એ શી પેર હું માનું;
હજાર ઇન્કાર તેના, એક પણ યકરાર મારો છે.
ભવે આઘે વચે પોતે ન પાસે મુજને બોલાવે,
મને ગાળો હજારો દે તે સો સો વાર મારો છે.
મને યુસુફ પઠે વેચો મિસરના ચોક ચૌટામાં,
જલીખા રૂપમાં ઊભો હૃદયનો હાર મારો છે.
મને જીવ્યા તણો શો હર્ષ ને શો શોક મરવાનો?
કરે તે યાર જે તેમાં જ બેડો પાર મારો છે.
ચઢુ દીદાર કરવા દારપર મન્સૂર થઈને હું;
અનલહક બોલતો અમૃત અને તે યાર મારો છે.



સ્રોત
- પુસ્તક : ભારત દુર્દશા નાટક (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ઠક્કુર નારાયણ વિસનજી ચતુર્ભુજ
- પ્રકાશક : ત્રાગાળા મિત્રમંડળ
- વર્ષ : 1909