આંખથી મોતી ખર્યું તો શું બન્યું પૂછો નહીં
aankh thi moti kharyu to shu banyu puchho nahi

આંખથી મોતી ખર્યું તો શું બન્યું પૂછો નહીં
aankh thi moti kharyu to shu banyu puchho nahi
ઉષા ઉપાધ્યાય
Usha Upadhyay

આંખથી મોતી ખર્યું તો શું બન્યું પૂછો નહીં,
વેદનાનાં પૂરમાં શું શું ગયું પૂછો નહીં.
લોટ જેવું થૈ હવામાં ક્યાંક વિખરાતું રહ્યું,
સંકટોનાં બે પડ વચ્ચે શું શું દળ્યું, પૂછો નહીં.
બંધ મુઠ્ઠી રાખવા કેવું મથ્યા 'તા રાતદિન!
યાતનાના આ હિમે શું શું ગળ્યું પૂછો નહીં.
જાણ ન્હોતી દુઃખ અને પીપળ-ઉભયના સામ્યની,
ભીંત ને છાતી ચીરી શું શું ઊગ્યું પૂછો નહીં.
ક્યાં હતી એવી ખબર એ કોઈ ચિનગારી હશે!
લ્યો, સમયના હાથથી શું શું બળ્યું પૂછો નહીં.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 227)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ