tarunonun manorajya - Geet | RekhtaGujarati

તરુણોનું મનોરાજ્ય

tarunonun manorajya

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
તરુણોનું મનોરાજ્ય
ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: ચારણી કૂંડળિયાનો]

ઘટમાં ઘોડાં થનગને, આતમ વીંઝે પાંખ;

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે

વિશ્વભરના યુવાનોની આંખો અંડે;

પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,

ગરુડશી પાંખ આતમ વિષે ઊઘડે.

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધ ચડે;

રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહીં!

યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહીં!

કેસરી વીરના કોડ હરશો નહીં!

મત્ત ચૌવન તણી ગોત કરશો નહીં!

રંગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય;

લાતો ખાધી, લથડિયાં -એ દિન ચાલ્યા જાય;

લાત ખાવા તણા દિન હવે ચાલિયા,

દર્પભર ડગ દઈ યુવકદળ હાલિયાં;

માગવી આજ મેલી અવરની દયા,

વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,

સતની સીમો લોપવા, જોબન માંડે જાગ:

લોપવી સીમ, અણદીઠને દેખવું.

તાગવો અતલ દરિયાવ -તળિયે જવું.

ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું;

આજ યૌવન ચહે એહ વિધ જીવવું.

(1928)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997