vrushbhaavtaar - Geet | RekhtaGujarati

વૃષભાવતાર

vrushbhaavtaar

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
વૃષભાવતાર
ઉમાશંકર જોશી

પૃથ્વી જ્યારે વસવા માંડી,

આદી કાળની વાત,

પ્હેલવ્હેલાં જે માનવી ભોળાં

ના જાણે રીત કે ભાત.

કેટલું ખાવું, ક્યારે ન્હાવું,

કોને બધું પૂછવા જાવું?

એક શાણો કહે, 'શીદ મૂંઝાવું?

જાચીએ જગનો તાત.'

કૈલાસ પર્વતે શિવ ને ગૌરી

બેઠાં ગોઠડી કરે,

ગૌરવ નિજ વાગોળતો દ્વારે

નંદી પ્હેરો ભરે.

હાલકહૂલક માનવટોળું

આવી તહીં ઊભરાયું બ્હોળું.

'જય ભોળા! જય!' નાદથી ડ્હોળું

આભ જાણે થરથરે.

કંપાવી કાંધ ને પૂછ ઉછાળી

નંદી સૌને પૂછે :

'આટલો શોર તે શાને મચાવો?

એવું કારણ શું છે?'

'અમે જાણીએ ક્યારે ખાવું,

ક્યારે વળી ધોવું-ન્હાવું.

પ્રભુ વિના દુઃખ ક્યાં જઈ ગાવું?

આંસુ બીજું કોણ લૂછે?'

'શિવજીનો તો ગૌરી સાથે

ચાલે છે સંલાપ;

કહો તો હું જઈ પૂછી આવું.'

'પૂછી આવોને બાપ!'

ગૌરીની ચાલતી દલીલ : 'હરજી!

વળી માનવસૃષ્ટિ ક્યાં સરજી?'

વચ્ચે નંદીની સુણીને અરજી,

દેવે દીધ જબાપ :

'ત્રણ વાર ન્હાય,

એક વાર ખાય.'

પૂછ ઝુલાવતો, માથું હલાવતો,

નંદી ગૌરવભાવે

સંદેશો દેવનો ગોખતો ગોખતો

ડોલતો ડોલતો આવે :

ત્રણ વાર ન્હાય,

એક વાર ખાય.

ત્રણ વાર ન્હાય,

એક વાર ખાય.

એક વાર ન્હાય,

ત્રણ વાર ખાય.

ઊલટાસૂલટી બોલ થઈ જાય,

બોલતો બોલતો આવે :

એક વાર ન્હાય,

ત્રણ વાર ખાય.

એક વાર ન્હાય,

ત્રણ વાર ખાય,

પૂછવા માનવટોળું સામે ધાય,

'બોલો શો સંદેશો ક્હાવે?'

'એક વાર ન્હાય,

ત્રણ વાર ખાય.'

નંદી બોલ્યો વાણી;

સુણીને માનવી સંતોષ પામ્યાં

પ્રભુની આશા જાણી.

સાંજ સમે થઈ ગોઠડી પૂરી,

શિવ ને ગૌરી બેય

બ્હાર આવ્યો, સૌ સૂનું દીઠું,

નંદી બેઠો છેય.

શિવના મનમાં જરા અંદેશો.–

'નંદી તેં શો દીધ સંદેશો?'

'દીધો બીજો હોય ઉત્તર મેં શો?

પૂછવાનું શું એય?

એક વાર ન્હાય,

ત્રણ વાર ખાય.'

'માનવીની તે જિન્દગી, નંદી,

કરી દીધી શી ઝેર?

ખાઈ ખાઈ બધું ખુટાડશે ને

વસ્તીનો વધશે કેર.

અરે ભોળા, તેં શું કીધું?

એક વેળાનું અન્ન મેં દીધું.

ત્રણ વેળા સુધી એટલું સીધું

પ્હોંચે તે કઈ પેર?'

આંખો મીંચીને ડોલતો નંદી

થઈ ગયો ઊંચેકાન.

ખોંખારી શિવે ન્યાય સુણાવ્યો :

'ના તેં રાખ્યું કૈં ભાન.

તો, હવે જા, ધરતી પર અવતર,

ધૂંસરી કાંધે ઉપાડી, ખેતર

ખેડ, મનુજના કોઠારો ભર.

પોષજે એના પ્રાણ.'

તે દીથી નંદી ભૂતળ ઉપર

બળદ થઈને ફરે,

શિવદ્વારે મસ્ત ડોલવું છોડી,

ધૂંસરી ઊંચકી મરે.

ત્રણ ત્રણ વેળા ખાતાં માનવ

વધ્યાં, ધરામાં માતાં માનવ,

ખાઉં ખાઉં કરે ધરાતાં માનવ,

એને કંઈ દાણો પૂરે.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 99)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ