vari hun...! - Geet | RekhtaGujarati

સતત રહીને પરી, વરી હું વિઠ્ઠલવરને વરી.

હું જાણું કે સામો ચાલી એ તો શીદને આવે,
દૂર રહીને બહુ બહુ તો એ વેણુનાદ બજાવે.
             મેં તો મારી સઘળી સુરતા ચરણકમળમાં ધરી,
                                                 વરી હું વિઠ્ઠલવરને વરી.

એ પંડે ઘનશ્યામ, ગમે તો ભલે ખાબકી પડે,
હું તો ખાલી વાદલડી તે બેત્રણ છાંટા જડે,
             તોય પલળતાં આવી ઊભો, શી અણધારી કરી!
                                                 વરી હું વિઠ્ઠલવરને વરી.

સ્રોત

  • પુસ્તક : જળમાં લખવાં નામ
  • સર્જક : હરિકૃષ્ણ પાઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2010
  • આવૃત્તિ : (પ્રથમ આવૃત્તિ)