raatrani ne surajmukhi - Geet | RekhtaGujarati

રાતરાણી ને સૂરજમુખી

raatrani ne surajmukhi

સુરેશ દલાલ સુરેશ દલાલ
રાતરાણી ને સૂરજમુખી
સુરેશ દલાલ

રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં :

સૌરભભીનો સૂર લઈને વનપંખીઓ બોલ્યાં!

કાજળનો દૂર કરી કામળો

જાગી ઊઠ્યા પ્હાડ;

પડછાયા લઈ પોઢ્યાં'તાં

પ્રકટી ઊઠ્યાં ઝાડ.

સમણાંનાં બુંદ બુંદને પાંદડીઓએ ઢોળ્યાં :

રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!

અંધકારનો દરિયો ડૂબ્યો

કિરણ કિરણના કાંટા;

દરિયારણને કાંઠે સમણાં

વમળ વિશે અટવાતાં.

આંસુ ને સ્મિતના સરવરમાં નયનકમળ કોળ્યાં :

રાતરાણીએ મીંચ્યાં લોચન : સૂરજમુખીએ ખોલ્યાં!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980